જામનગરમાં એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તાર માટે હુકમો જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર

   ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.11 માર્ચથી આગામી તા.26 માર્ચ દરમિયાન એચ.એસ.સી. તથા એસ.એસ.સી. (HSC & SSC) ની પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષાઓ દરમ્યાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉતરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના રહેલી છે.

જે તમામ બાબતોને ધ્યાનમાં રાખતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા તેમને મળેલી સત્તાની રૂએ જાહેરાત કરે છે કે, જામનગર જિલ્લામાં ઉક્ત પરીક્ષા માટે નકકી કરાયેલા પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા કોપીયર મશીન ધારકોએ પરિશિષ્ટ ‘ક’ મુબજના પરીક્ષા કેન્દ્રોની આસપાસ આગામી તા.11 માર્ચથી આગામી તા.26 માર્ચ દરમિયાન સવારના 10:00 કલાકથી સાંજના 06:30 કલાક સુધી તથા પરિશિષ્ટ ‘ખ’ મુજબના પરીક્ષા કેન્દ્રોની આસપાસ આગામી તા.11 માર્ચથી આગામી તા.22 માર્ચ સુધી સવારના 10:00 કલાકથી સાંજના 06:30 કલાક સુધી તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો કે દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં.

આ ઉપરાંત પરિશિષ્ટમાં જણાવેલા પરીક્ષા કેન્દ્રોમાં કોઈએ મોબાઈલ, ઈલેકટ્રોનિક સાધનો, કેલ્કયુલેટર, ઈલેકટ્રોનિક વોચ કે અન્ય અનાધિકૃત સાહિત્ય વગેરે સાથે પ્રવેશ કરવા પર અને પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ પ્રતિબંધાત્મક હુકમો સરકારી, અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના સાહસોને લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કરનાર ભારતના ફોજદારી અધિનિયમ- 1860 ની કલમ- 188 તળે શિક્ષાપાત્ર થશે.

 

 

 

 

Related posts

Leave a Comment